પદ્મભૂષણ પુરસ્કાર સન્માનિત ચિત્રકાર લક્ષ્મણ પાઈનું અવસાન
Updated: Mar 15th, 2021
- ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે પાઈના અવસાનને લઈ શોક વ્યક્ત કર્યો
નવી દિલ્હી, તા. 15 માર્ચ, 2021, સોમવાર
પદ્મભૂષણ પુરસ્કાર વડે સન્માનિત એવા પ્રખ્યાત ચિત્રકાર લક્ષ્મણ પાઈનું રવિવારે સાંજે ગોવા ખાતે તેમના નિવાસસ્થાને અવસાન થયું છે. તેઓ 95 વર્ષના હતા અને ડોના પાઉલા ખાતે પોતાના ઘરમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.
1926માં ગોવામાં જન્મેલા પાઈનું અનેક પ્રતિષ્ઠિત પુરસ્કાર વડે સન્માન કરવામાં આવ્યું હતું જેમાં પદ્મભૂષણ, પદ્મશ્રી, નેહરૂ પુરસ્કાર અને લલિતકલા અકાદમીના પુરસ્કારનો સમાવેશ થાય છે.
મુખ્યમંત્રીએ વ્યક્ત કર્યો શોક
ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે પાઈના અવસાનને લઈ શોક વ્યક્ત કર્યો હતો. તેમણે ટ્વીટમાં લખ્યું હતું કે, 'ગોવાના પ્રખ્યાત કલાકાર પદ્મભૂષણ શ્રી લક્ષ્મણ પાઈના અવસાનથી ખૂબ દુઃખ થયું. ગોવાએ આજે એક રતન ગુમાવી દીધું. આપણે કલા ક્ષેત્રે તેમના અપાર યોગદાનને હંમેશા યાદ કરીશું. તેમના પરિવારને મારી હાર્દિક સંવેદના. ઓમ શાંતિ.'
ગોવા વિધાનસભામાં વિપક્ષ નેતા દિગંબર કામતે પણ પાઈના મૃત્યુને લઈ દુઃખ વ્યક્ત કર્યું હતું અને પાઈ પોતાના અંતિમ શ્વાસ સુધી પોતાના પેઈન્ટિંગનું કામ કરતા રહ્યા હતા તેમ જણાવ્યું હતું.