હાઈકોર્ટે ફગાવી સત્યેન્દ્ર જૈનને કેબિનેટ મંત્રી પદેથી સસ્પેન્ડ કરવાની માંગણી
Updated: Jul 7th, 2022
- સત્યેન્દ્ર જૈન કેબિનેટ મંત્રીને મળતી સુવિધાઓનો લાભ ઉઠાવી રહ્યા છે
નવી દિલ્હી, તા. 07 જુલાઈ 2022, ગુરૂવાર
સત્યેન્દ્ર જૈન હાલમાં મની લોન્ડરિંગના આરોપમાં જેલમાં બંધ છે. દિલ્હી હાઈકોર્ટે તેમની સામે દાખલ કરવામાં આવેલી એક અરજીને રદ કરી દીધી છે. આ અરજીમાં સત્યેન્દ્ર જૈનને કેબિનેટ મંત્રીના પદ ઉપરથી સસ્પેન્ડ કરવાની માગણી કરવામાં આવી હતી. નંદ કિશોર ગર્ગ દ્વારા દાખલ કરવામાં આવેલી આ અરજીને જસ્ટિસ સતીશ ચંદ્ર શર્મા અને સુબ્રમણ્યમ પ્રસાદે રદ કરી દીધી છે.
આ અરજીમાં દાવો કરવામાં આવ્યો છે કે, સત્યેન્દ્ર જૈન ઉપર મની લોન્ડરિંગના ગંભીર આરોપો લાગેલા છે. તેમ છતાં તેઓ કેબિનેટ મંત્રીને મળતી સુવિધાઓનો લાભ ઉઠાવી રહ્યા છે. જો કે હાલમાં દિલ્હી હાઈકોર્ટે આ અરજીને રદ કરી દીધી છે.
EDએ સત્યેન્દ્ર જૈનની મની લોન્ડરિંગના કેસમાં ધરપકડ કરી હતી. હાલમાં તેઓ EDની કસ્ટડીમાં છે. સત્યેન્દ્ર જૈને જામીનની અરજી આપી હતી પરંતુ કોર્ટે તેને રદ કરી દીધી હતી. કોર્ટે કહ્યું હતું કે, જામીન મળ્યા બાદ પુરાવાઓ સાથે છેડછાડ થવાની શક્યતાને નકારી શકાય નહી.
EDએ સત્યેન્દ્ર જૈનના ઘરે અનેક વખત દરોડા પાડ્યા હતા. તેમના નજીકના મિત્રના ઘરેથી 2.83 કરોડ રોકડ અને 133 સોનાના સિક્કાઓ મળ્યા હતા. આમ આદમી પાર્ટી દ્વારા મની લોન્ડરીંગના આરોપોને સતત ખોટા કહેવામાં આવી રહ્યા છે.